India Iran Maritime News : મિડિલ ઈસ્ટ (Middle East) અત્યારે દારૂગોળાના ઢગલા પર બેઠું છે. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ગમે ત્યારે મોટા પાયે જંગ ફાટી નીકળવાની દહેશત છે. આવા ગંભીર માહોલ વચ્ચે વૈશ્વિક અર્થતંત્રની જીવાદોરી સમાન ગણાતા દરિયાઈ માર્ગો પર સંકટના વાદળો છવાયા હતા, પરંતુ ભારત માટે એક અત્યંત સુખદ અને વ્યૂહાત્મક સમાચાર સામે આવ્યા છે.
મિત્રતાની કસોટી: ઈરાને ભારતને ગણાવ્યું ખાસ મિત્ર
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી (Abbas Araghchi) એ એક સનસનાટીપૂર્ણ નિવેદન આપીને વિશ્વને ચોંકાવી દીધું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે દુનિયાના સૌથી વ્યસ્ત અને સંવેદનશીલ ગણાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) ને સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો નથી. ઈરાને ખૂબ જ સમજી-વિચારીને ભારત (India) સહિત પાંચ મિત્ર દેશોના જહાજોને અહીંથી સુરક્ષિત રીતે પસાર થવાની ગ્રીન સિગ્નલ આપી દીધું છે.
અરાઘચીએ જણાવ્યું કે, “ભારત, ચીન, રશિયા, ઈરાક અને પાકિસ્તાને અમારી સાથે સંપર્ક સાધ્યો હતો. અમે યુદ્ધની સ્થિતિમાં હોવાથી દુશ્મન દેશો માટે રસ્તો બંધ રાખ્યો છે, પરંતુ મિત્ર દેશોના હિતોનું રક્ષણ કરવું એ અમારી પ્રાથમિકતા છે.”
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ વિશ્વના તેલ વેપાર (Oil Trade) માટેનું સૌથી મોટું કેન્દ્ર છે. જો આ રસ્તો બંધ થઈ જાય, તો વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચી શકે છે. ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું તેલ આ જ રૂટ પરથી મંગાવે છે. ઈરાન દ્વારા આપવામાં આવેલો આ ‘સેફ પેસેજ’ (Safe Passage) ભારતની ઉર્જા સુરક્ષા માટે માસ્ટરસ્ટ્રોક સાબિત થશે.
“અમે શાંતિ ઈચ્છીએ છીએ, પણ અમારી શરતો પર” ઈરાની વિદેશ મંત્રીએ વધુમાં ઉમેર્યું કે તેઓ આ સંઘર્ષને લાંબો ખેંચવા માંગતા નથી. પરંતુ, સમાધાન ત્યારે જ થશે જ્યારે ભવિષ્યમાં હુમલા ન થવાની ગેરંટી મળે. ઈરાને સ્પષ્ટ શબ્દોમાં અમેરિકા (USA) ને પણ સંદેશ આપ્યો છે કે તેમની કોઈ પણ કૂટનીતિ અત્યારે કામ કરી રહી નથી.
અમેરિકા સાથે ‘નો ટોક’: ઈરાનનું કડક વલણ
એક તરફ ઈરાન મિત્ર દેશોને સાથ આપી રહ્યું છે, તો બીજી તરફ અમેરિકા સામે લાલ આંખ કરી રહ્યું છે. વિદેશ મંત્રીએ ટેલિવિઝન પર સ્પષ્ટ કર્યું કે વોશિંગ્ટન સાથે કોઈ પણ પ્રકારની સત્તાવાર વાટાઘાટો (Formal Negotiations) થઈ રહી નથી. જોકે મધ્યસ્થીઓ દ્વારા મેસેજ મળે છે, પણ ઈરાન તેને ગણતરીમાં લેતું નથી. ઈરાનનું માનવું છે કે અમેરિકા અત્યાર સુધી તેના કોઈ પણ લક્ષ્યો હાંસલ કરી શક્યું નથી.
આ સમાચાર સાબિત કરે છે કે વૈશ્વિક સ્તરે ભારતની કૂટનીતિ (Indian Diplomacy) કેટલી સક્ષમ છે. યુદ્ધ જેવી ભયાનક સ્થિતિમાં પણ ભારત પોતાના હિતોનું રક્ષણ કરવા માટે ઈરાન જેવા મહત્વના પક્ષકારો સાથે તાલમેલ બેસાડવામાં સફળ રહ્યું છે. થોડા દિવસો પહેલા જ ભારતના બે મોટા જહાજો આ રસ્તેથી સુરક્ષિત રીતે પસાર થયા હતા, જે ઈરાને આપેલા વચનનો પુરાવો છે.